આજે ૨૧ જુલાઈના રોજ શરૂ થતા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે એમની આ અમર રચના…
ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.
સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.
એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.
આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.
– ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮)
ગુજરાતી સુગમસંગીતના પિતામહ એવા શ્રી અવિનાશભાઈનો જન્મદિન પણ ૨૧/૦૭/૧૯૧૧ છે.
Filed under: ઉમાશંકર જોશી, કવિ/કવિયત્રી, કવિતા, ગીત | Tagged: અંતરની વેદના, આંખ લ્હોવી, ઉમાશંકર જોષી, ઉરબોલના, કંદરા, કુંજ કુંજ, કોક, કોકિલાને માળે, કોતરો ને, ગયો, જંગલની, જોવી'તી, ઝીલવા, ડાળે ઝૂલંત, પડઘા, ફેલાયા આભમાં, ભોમિયા વિના મારે, રોતા ઝરણાની, વેરાયા બોલ મારા, સરવરિયાની, સૂના, સોનેરી પાળે, હંસોની હાર | Leave a comment »