ભોમિયા વિના મારે


આજે ૨૧ જુલાઈના રોજ શરૂ થતા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે એમની આ અમર રચના…

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮)

ગુજરાતી સુગમસંગીતના પિતામહ એવા શ્રી અવિનાશભાઈનો જન્મદિન પણ ૨૧/૦૭/૧૯૧૧ છે.