વાવાઝોડા પછીની સવારે – જયા મહેતા


નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં

ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે,

તૂટેલા મિજાગરા પર પવન લટકે છે. 

જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસકી પડ્યો છે.

પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો

             શિથિલ થઈને પડ્યાં છે.

ક્યાંકથી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.

બખોલમાં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.

તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.

દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.

ડહોળયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.

એની આંખોમાં લાચારી નથી, આશા નથી,

કેવળ એક પ્રશ્ન છે :

આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે –

‘સયુજા સખા’નો અર્થ.

–  જયા મહેતા