ગુર્જરી ગિરા


“વિશ્વ માતૃભાષા દિવસ”ની શુભેચ્છાઓ સાથે

 

ગુજરાતી ભાષાનું ગૌરવ દર્શાવતી શ્રી ઉમાશંકર જોષીની આ અમર રચના  

 

જે જન્મતાં આશિષ હેમચન્દ્રની

પામી, વિરાગી જિનસાધુઓએ

જેનાં હિંચોળ્યા મમતાથી પારણાં,

રસપ્રભા ભાલણથી લહી જે

નાચી અભંગે નરસિંહ-મીરાં-

અખા તણે નાદ ચડી ઉમંગે

આયુષ્મતી લાડલી પ્રેમભટ્ટની

દ્રઢાય ગોવર્ધનથી બની જે,

અર્ચેલ કાન્તે, દલપત પુત્રે

તે ગુર્જરી ધન્ય બની ઋતંભરા 

ગાંધીમુખે વિશ્વમાંગલ્યધાત્રી

 

                                                                      – ઉમાશંકર જોષી (૧૯૧૧ – ૧૯૮૮)

 

 

ભોમિયા વિના મારે


આજે ૨૧ જુલાઈના રોજ શરૂ થતા ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી ઉમાશંકર જોષીના જન્મશતાબ્દિ વર્ષની ઉજવણી નિમિત્તે એમની આ અમર રચના…

ભોમિયા વિના મારે ભમવા’તા ડુંગરા,
જંગલની કુંજ કુંજ જોવી હતી;
જોવી’તી કોતરો ને જોવી’તી કંદરા,
રોતા ઝરણાની આંખ લ્હોવી હતી.

સૂના સરવરિયાની સોનેરી પાળે,
હંસોની હાર મારે ગણવી હતી;
ડાળે ઝૂલંત કોક કોકિલાને માળે,
અંતરની વેદના વણવી હતી.

એકલા આકાશ તળે ઊભીને એકલો,
પડઘા ઉરબોલના ઝીલવા ગયો;
વેરાયા બોલ મારા, ફેલાયા આભમાં,
એકલો અટૂલો ઝાંખો પડ્યો.

આખો અવતાર મારે ભમવા ડુંગરિયા,
જંગલની કુંજકુંજની જોવી ફરી;
ભોમિયા ભૂલે એવી ભમવી રે કંદરા,
અંતરની આંખડી લ્હોવી જરી.

– ઉમાશંકર જોષી
(૨૧/૦૭/૧૯૧૧ – ૧૯/૧૨/૧૯૮૮)

ગુજરાતી સુગમસંગીતના પિતામહ એવા શ્રી અવિનાશભાઈનો જન્મદિન પણ ૨૧/૦૭/૧૯૧૧ છે.

રહ્યાં વર્ષો તેમાં


આજે કવિશ્રી ઉમાશંકર જોષીની જ્ન્મજયંતિ … ૨૧ જુલાઈ ૧૯૧૧ના રોજ ગુજરાતના ઈડર તાલુકાના બામણા ગામે જન્મ અને ગુજરાતી સાહિત્ય ક્ષેત્રે એક અનોખી ઉંચાઈ ધરાવતું નામ….!

રહ્યાં વર્ષો તેમાં હૃદયભર સૌન્દર્ય જગનું
ભલા પી લે ; વીલે મુખ ફર રખે, સાત ડગનું

કદી લાધે જે જે મધુર રચી લે સખ્ય અહીંયાં;
નથી તારે માટે થઇ જ ‘નિરમી’ દુષ્ટ દુનિયા.

અહો નાનારંગી અજબ દુનિયા ! શેં સમજવી ?
તમે ભોળા ભાવે કરું પલટવા, જાઉં પલટી ;

અહંગર્તામાં હા પગ, ઉપરથી, જાય લપટી !
વિસારી હુંને જો વરતું, વરતે તું મધુરવી.-

મને આમંત્રે ઓ મૃદુલ તડકો, દક્ષિણ હવા,
દિશાઓનાં હાસો, ગિરિવર તણાં શૃંગ ગરવાં;

નિશાખૂણે હૈયે શશિકિરણનો આસવ ઝમે ;
જનોત્કર્ષે – હ્રાસે પરમ ઋતલીલા અભિરમે.

બધો પી આકંઠ પ્રણય ભુવનોને કહીશ હું :
મળ્યાં વર્ષો તેમાં અમૃત લઇ આવ્યો અવનિનું .

– ઉમાશંકર જોશી