વાવાઝોડા પછીની સવારે – જયા મહેતા


નર્સનાં સફેદ વસ્ત્રો જેવી કડક શાંતિમાં

ભયભીત પાંખોનો ફફડાટ કરચલીઓ પાડે છે,

તૂટેલા મિજાગરા પર પવન લટકે છે. 

જીર્ણ વસ્ત્રની જેમ તડકો ફસકી પડ્યો છે.

પડખું ફેરવી ગયેલા રસ્તા પર વૃક્ષો

             શિથિલ થઈને પડ્યાં છે.

ક્યાંકથી જળ ટપકવાનો અવાજ સંભળાય છે.

બખોલમાં બે ઝીણી ઝીણી આંખો તગતગે છે.

તૂટેલી ડાળ પર કળીઓ ખીલું ખીલું થઈ રહી છે.

દૂર ખાબોચિયામાં બાળક છબછબિયાં કરી રહ્યું છે.

ડહોળયેલી નદીને કાંઠે એક વૃદ્ધ ઊભો છે.

એની આંખોમાં લાચારી નથી, આશા નથી,

કેવળ એક પ્રશ્ન છે :

આજે જો ઇશ્વર સામો મળે તો પૂછવા માટે –

‘સયુજા સખા’નો અર્થ.

–  જયા મહેતા

એક…


કવિ શ્રી વિપિન પરીખ… ૮૦ વર્ષની વયે બે દિવસ પહેલા મુંબઈમાં અવસાન પામ્યા. એમનું આ અછાંદસ કદાચ આપણી અંદરના, આજના રીયલ માણસ તરફ આંગળી ચીંધી રહ્યું નથી…?

આ સામાન્ય માણસ
સાઠ કરોડમાંનો એક – હિન્દુસ્તાનનો,
કરોડરજ્જુ વિનાનો બસ કન્સક્ટરથી ધ્રુજનારો, ટ્રેનમાં ભીંસાનારો
ટેક્સી ડ્રાઈવરથી પણ હડધૂત થનારો
બેન્કના મામૂલી ક્લાર્કને સલામ ભરનારો
એક એક પૈસો ટેક્સનો બ્હી બ્હીને સમયસર ભરનારો
દેશી માલ જ વાપરવાનો આગ્રહ રાખનારો
મકાનમાલિકના પાઘડીના વળમાં ગૂંચવાયેલો.
પોલીસના યુનિફોર્મને દૂરથી જોઈ થથરનારો.
ભોળો, મિનિસ્ટરના લિસ્સા લિસ્સા ભાષણોને સાચ્ચાં માનનારો…
ને વળી તાળી પણ પાડનારો
ચૂંટણી વખતે જોર જોરથી ‘જય હિન્દ’ બોલનારો
બધું ભૂલી જનારો, ગળી જનારો
કચડાયેલો
પણ રોજ સવારે કોણ જાણે શી રીતે
હસતો ઊઠનારો
હું પણ તેમાંનો જ –
એક…

– વિપિન પરીખ