ગઝલ લખજો – મનહર મોદી


હજારો વર્ષમાં પહેલી વખત જે કંઈ બને બનજો
બધાની આંખ ઊઘડે એટલી મારી ગરજ પડજો.

અહીં સુક્કું અને લુખ્ખું વળી ટુકડે જિવાયું છે
હવે એ સર્વને ભેગું જીવું એવી ક્ષણો મળજો.

ઝરૂખો બારીઓ આકાશ ને એવું ઘણું જોયું
તમે કેવળ અને એક જ રહો એ દૃશ્ય વિસ્તરજો.

સૂરજ ઊગે તો અજવાળું અને ડૂબે તો અંધારું
એ સમજું છું ને અંદર છું એ જાણો તો મને હસજો.

મને માફક છે મારો દોષ ને તેથી સલામત છું
કહેવી હોય એની વાત તો સુંદર ગઝલ લખજો.

– મનહર મોદી

કોક સવારે – હરિકૃષ્ણ પાઠક


કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું ;
મનતરંગથી ફેલાતો બસ ક્યાંનો ક્યાં જઈ પૂગું.

કોઈ ન જાણે કિયા દેશનો વાસી ને કાંઆવ્યો,
ખભે ઝૂલતી ઝોળીમાં કેવું કેવું લઈ આવ્યો.
ખોવાયું તે ખોળું ને આ મન સદાયનું મૂંગું
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

અજાણતાંમાં ખીલ્યું’તું જે મહિમાવંતું સપનું,
ખરી પડ્યું ઓચિંતું મારે હતું ખૂબ એ ખપનું;
ભાળ ન પામે કોઈ ભીતરે ભર્યું કેટલું રૂંગું…
કોક સવારે સૂરજ ઊગે તે પહેલા હું ઊગું.

– હરિકૃષ્ણ પાઠક

લખી દઉં


ધારું  તો  હું શ્વાસ ઉપર ‘હે રામ’  લખી દઉં,
પરપોટાનું   ચપટીમાં   અંજામ  લખી   દઉં.

ને  બંધ બેસતા  શબ્દ વિષે  જો   કોઈ  પૂછે,
કાતિલના ખાનામાં ખુદનું નામ લખી દઉં.

કલમ   મહીં   મેં   કેફ   ભર્યો  છે  ઘૂંટી   ઘૂંટી,
બેપરવા થૈ   જાત પરે  બેફામ  લખી   દઉં.

નામ થવાની   આખી ઘટના મોઘમ રાખું,
બદનામીની  વાતો   બે મુદ્દામ   લખી  દઉં.

જ્યારે   ત્યારે    કહેવાના   કે   ઘર   મારું  છે,
સોનાની આ   લંકા લો અભરામ લખી દઉં.

કાગળ પર તો આજ  સુધી મેં ખૂબ  લખ્યું,
ઊભે મારગ પગલાંનો પયગામ લખી દઉં.

ખોવાયેલી     ખૂશ્બુથી     મેળાપ     કરાવો,
રાજીપામાં   આખેઆખું   ગામ   લખી   દઉં.

                                     – કિશોર જીકાદરા (ગાંધીનગર)

એટલો રહેજે દૂર


             સાંભળું તારો સૂર,
   સાંવરિયા, એટલો રહેજે દૂર !

ગોપી ને ગોપની વચ્ચે સજોડલે
          ભલે તું રાસ ના ખેલે.
  વનને વિજન તું મારે અંબોડલે
           ભલે કદંબ ના મેલે ;

         તારી તે મોરલીને સૂર,
સાંવરિયા, મેં તો મેલ્યું છે મારું ઉર !

સૂરની સંગાથ મારા સમણાનો સાર
   ને સઘળો સંસાર મેં તો બાંધ્યો.
એમાં તો મુજને આ જગથીયે પાર
      રે એવો કો સૂરલોક લાધ્યો ;

         હવે જાશે મથુરાપુર ?
સાંવરિયા, થાશે તું કંસથીયે ક્રૂર ?

                                             – નિરંજન ભગત

શોધ…


ગુજરાતી ભાષાના મૂર્ધન્ય કવિ શ્રી રાજેન્દ્ર શાહે ગઈકાલે તા. ૩ જાન્યુઆરી ૨૦૧૦ ના રોજ આપણી વચ્ચેથી ચિર વિદાય લીધી. એમની એક રચના જેમાં કવિએ માનવમનની અનંત દોડ અને લક્ષ્ય ન મળવાની વેદનાને વર્ણવી છે…

હજાર હજાર ઊંટની કાંધ સમું વિસ્તરેલું રણ,
શેની શોધમાં નીકળ્યો છું હું ?
પાછળ મૂકેલું મારું છેલ્લું પગલુંય ભૂંસી નાખે છે કોઈક.
અહીં ક્યાંય કેડી નથી,
સીમ નથી,
દિશા નથી,
બાધા નથી ને
ક્યાંય કોઈનું ચિહ્ન નથી.

કંઈક શોધું છું.
શોધું છું કેડી ?
સીમ ? દિશા? બાધા?
કોઈ અવશેષ ?
ખબર નથી મને.
સાવ ખુલ્લામાં જાણે ખોવાઈ ગયો છું.
સામેના વેળુઢગની પેલી પારથી આવે છે લીલું હાસ્ય,
બેની વચ્ચેનું અંતર ઘટતાં
સમયના પ્રલંબ અંતરાયની ઓળખ થાય છે,
ત્યાં છે હાથેક ઊંડો એક વોકળો,
પડખે લીલે પંખ ઊભું છે તમાલ,
નાની નજરમાં બધુંય સમાઈ જાય છે.
એની આ બાજુ ઉઘડેલા મૂળની વચ્ચે જણાય છે શ્વેત રુંડ ;
એને જ હું શોધતો હતો,
લીલાં હાસ્યના ઉગમનું આદિ કારણ.

– રાજેન્દ્ર શાહ

કેટલો વખત ?


ઊઠતી બજારે હાટ હવે કેટલો વખત ?
વહેવારના ઉચાટ હવે કેટલો વખત ?

કાનાએ કાંકરી લીધી છે હાથમાં ,
અકબંધ રહેશે માટ હવે કેટલો વખત ?

પગરણ થઈ ચૂક્યાં છે હવે પાનખર તણાં ;
ફૂલડાંઓ ફાટ ફાટ હવે કેટલો વખત ?

સંધ્યા ઉષા જલાવી રહી છે હવે ચિતા ;
ટકવાનાં આટકાટ હવે કેટલો વખત ?

જયારે હવેલી સાવ ધરાશાયી થઈ રહી ,
ત્યારે ખટૂકશે ખાટ હવે કેટલો વખત ?

ખૂટી રહ્યું દિવેલ ને કજળી રહી છે વાટ ;
જ્યોતિ ઝગવશે પાટ હવે કેટલો વખત ?

‘ગાફિલ’, તમારો ઘાટ ઘડાવાની છે ઘડી ;
ઘડશો ઘણેરા ઘાટ હવે કેટલો વખત ?

– મનુભાઈ ત્રિવેદી (‘ગાફિલ’ અને ‘સરોદ’)

ઊપડતી જીભ અટકે છે…


ઊપડતી જીભ અટકે છે, હૃદય પર ભાર લાગે છે,
પ્રણયની વાત છે, કહેવામાં થોડી વાર લાગે છે

ઘણા વર્ષો થયાં, હું આ શહેરમાં હૂંફ શોધું છું
અહીં જેને મળુ છું, સાવ ઠંડોગાર લાગે છે

ફડક ડૂબી જવાની મનમાં પેસી જાય છે ત્યારે
તણખલું એક પણ દેખાય તો આધાર લાગે છે

ટકોરા મારવા દે, શક્ય છે એનું ઉઘડવું પણ
તું જેને ભીંત સમજ્યો છે, મને એ દ્વાર લાગે છે

સૂરજ સાથે મિલાવી આંખ એની આ અસર થઈ છે
બીજે ક્યાંયે નજર નાખું છું, બસ અંધાર લાગે છે

નયનમાં અશ્રુ આવે છે તો એ વાતે હસી લઉં છું
ચલો ક્યારેક તો આ આંખ પાણીદાર લાગે છે!

– હેમંત પૂણેકર

(સાભાર – http://hemkavyo.wordpress.com/2008/09/20/upadati_jibh_atke_chhe/)

મારું…


જગતના અંત-આદિ બેઉ શોધે છે શરણ મારું !
હવે શું જોઈએ મારે? જીવન મારું ! મરણ મારું !

અધૂરા સ્વપ્ન પેઠે કાં થયું પ્રગટીકરણ મારું ?
હશે કો અર્ધ-બીડી આંખડી કાજે સ્મરણ મારું !

અગર ના ડૂબતે ગ્લાનિ મહીં મજબૂર માનવતા !
કવિ રૂપે કદી ના થાત જગમાં અવતરણ મારું !

અણુથી અલ્પ માનીને ભલે આજે વગોવી લો !
નહીં સાંખી શકે બ્રહ્માંડ કાલે વિસ્તરણ મારું.

કહી દો સાફ ઇશ્વરને કે છંછેડે નહીં મુજને !
નહીં રાખે બનાવટનો ભરમ સ્પષ્ટીકરણ મારું .

કહો ધર્મીને સંભળાવે નહીં માયાની રામાયણ ,
નથી એ રામ કોઈમાં , કરી જાયે હરણ મારું.

રડું છું કેમ ભૂલો પર ? હસું છું કેમ ઝાકળ પર ?
ચમન-ઘેલા નહીં સમજે કદાપિ આચરણ મારું.

હું નામે ‘શૂન્ય’ છું ને ‘શૂન્ય’ રહેવાનો પરિણામે ,
ખસેડી તો જુઓ દ્રષ્ટિ ઉપરથી આવરણ મારું

– ‘શૂન્ય’ પાલનપુરી